સુવિચાર

સારા શિક્ષકો મોંઘા છે પરંતુ નરસા શિક્ષકો મોંઘા પડે છે.

Saturday 19 May 2012

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012

વિશ્વના વાચકોને વર્તમાન સામાજિક જીવનના પ્રવાહો પ્રમાણે વૈવિધ્યસભર ગુજરાતી સાહિત્ય મળી રહે તેમજ નવોદિત લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવાનું માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તે હેતુથી પ્રતિવર્ષની ચાલુ વર્ષે રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2012’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે જરૂરી વિગત નીચે પ્રમાણે છે.

વાર્તા સ્પર્ધાના નિયમો :

[1] વાર્તા સ્પર્ધામાં 18 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. માત્ર સ્પર્ધકે નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ચાલુ વર્ષે વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : 17-જુલાઈ-2012 છે.
[2] આ સ્પર્ધા માત્ર નવોદિતો માટે રાખવામાં આવે છે. આથી, રીડગુજરાતીની ગત વાર્તા-સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો, સાહિત્યકારો તેમજ જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. જેમનાં ફક્ત કાવ્ય અને ગઝલના પુસ્તકો પ્રકાશિત થયા હોય તેઓ આ સ્પર્ધામાં જરૂરથી ભાગ લઈ શકે છે. જુદા જુદા સામાયિકોમાં ક્યારેક જેમની વાર્તા/લેખ પ્રકાશિત થઈ હોય તેઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
[3] વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા 1800 થી 3000 શબ્દો વચ્ચે હોવી જોઈએ. આત્મકથાત્મક કે નિબંધ પ્રકારની કૃતિઓ અસ્વીકાર્ય ગણાશે. માત્ર ‘ટૂંકી વાર્તા’નું સ્વરૂપ જ સ્વીકાર્ય ગણાશે.
[4] હસ્તલિખિત વાર્તા મોકલનાર સ્પર્ધકે વાર્તા ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે વાર્તા મોકલનારે વાર્તાની એક ઝેરોક્ષ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા વાર્તા નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે.
[5] વાર્તા ટાઈપ કરીને ઈ-મેઈલથી પણ મોકલી શકાય છે. (કૃપયા હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) ઈ-મેઈલથી વાર્તા મોકલનારે PDF Format અથવા Word Document Format માં જ વાર્તા મોકલવી. વાર્તા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ ઈ-મેઈલ સાથે એટેચ કરવા જરૂરી છે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Varta-Spardha-2012 લખવું.
[6] સ્પર્ધામાં મોકલેલી વાર્તા અન્યત્ર મોકલી શકાશે નહિ. સ્પર્ધામાં વિજેતા થયેલી પ્રથમ ત્રણ ક્રમાંકની વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક ‘રીડગુજરાતી.કોમ’નો રહેશે. તેમ છતાં, વિજેતા થયેલી વાર્તા જો ‘રીડગુજરાતી’ના સાહિત્યિક સ્વરૂપને અનુરૂપ હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.
[7] સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે ‘રીડગુજરાતી’ કે તેના તંત્રી જવાબદાર રહેશે નહિ.

અગત્યની તારીખો :

સ્પર્ધાની શરૂઆત : તા. 17-મે-2012
વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 17-જુલાઈ-2012
સ્પર્ધાનું પરિણામ : 17-ઑગસ્ટ-2012

વાર્તા કેવી રીતે મોકલશો ? :

પોસ્ટ કે કુરિયર દ્વારા વાર્તા મોકલવા માટે….
Address :
Mrugesh Shah
7, Geeta Park Society,
B/H Bright School,
V.I.P Road, Karelibaug.
Vadodara-390022. Gujarat. India.
ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે : gujarativarta@gmail.com
Subject : Varta-Spardha-2012

પુરસ્કારની વિગતો :

વિજેતાઓને નીચે પ્રમાણે પુરસ્કારની રકમ અપાશે :
પ્રથમ પુરસ્કાર : રૂ. 3001
દ્વિતિય પુરસ્કાર : રૂ. 2001
તૃતિય પુરસ્કાર : રૂ. 1001
વિજેતાઓને પુરસ્કારની રકમ માત્ર ભારતીય ચલણમાં જ અપાશે. ભારતમાં વિજેતા થનાર સ્પર્ધકને ડિમાન્ડ ડ્રાફટ અથવા મનીઑર્ડરથી આ રકમ મોકલવામાં આવશે. વિજેતા થનાર કોઈ સ્પર્ધક જો વિદેશમાંથી હોય તો જે સરળ માધ્યમ ઉપલબ્ધ હશે તે રીતે તેઓને પુરસ્કારની રકમ પહોંચતી કરવામાં આવશે.

નિર્ણાયકો :

નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને “રીડગુજરાતી વાર્તાલેખન સ્પર્ધા”ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.
[1] ડૉ. ભારતી રાણે
મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો આપણે અહીં રીડગુજરાતી પર પણ માણ્યા છે.
[2] ડૉ. નૂતન જાની
મુંબઈની એસ.એન.ડી.ટી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના મુખ્ય અધ્યક્ષ તરીકે  ફરજ બજાવતા નૂતનબેન અભ્યાસે Ph.D. છે. વિશેષરૂપે તેઓ ‘Interdisciplinary Research on Cultural Studies’ અને ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સક્રીય રીતે કાર્યરત છે. તેમના 11થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને 25થી વધુ અભ્યાસલેખો તેમણે લખ્યા છે. ખાસ કરીને સંશોધનાત્મક લેખનક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. કાવ્ય અને ટૂંકીવાર્તા ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના તાજેતરમાં સંપાદિત થયેલા પુસ્તક ‘સંવાદ’માંથી આપણે કેટલીક વાર્તાઓ રીડગુજરાતી પર માણી છે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ માનદ સભ્ય તરીકે સેવાઓ આપે છે. ‘અસ્મિતાપર્વ’ સહિત અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ વક્તા તરીકે પણ રહી ચૂક્યા છે.
[3] માવજી મહેશ્વરી
શ્રી માવજીભાઈ અંજાર (કચ્છ)ના નિવાસી છે. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નિંબધકાર તરીકે જાણીતા છે. સરકારી નોકરી કરતાં કરતાં તેમણે સાહિત્યક્ષેત્રે ખૂબ ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. તેમની ‘મેળો’ નામની નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમી અને કલાગુર્જરીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે જ્યારે ‘બોર’ નામના લલિત નિબંધ સંગ્રહને સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ અને કલાગુર્જરીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, તેમણે ‘મેઘાડંબર’, ‘કાંધનો હક’, ‘અગનબાણ’ નામની નવલકથાઓ અને ‘અદશ્ય દીવાલો’, ‘પવન’,  ‘વિજોગ’,  ‘હસ્તરેખા’, ‘રત્ત’ (કચ્છીમાં) જેવા વાર્તાસંગ્રહો આપ્યાં છે. સાહિત્યના અન્ય પ્રકારોમાં તેમણે ‘રણભેરી’ નામનું ચરિત્રનિબંધ અને ‘ઉજાસ’ નામનું ચિંતનાત્મક ગદ્યનું પુસ્તક આપણને આપ્યું છે. તેમની દસેક જેટલી વાર્તાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ભોજપુરીમાં અનુવાદ થયેલી છે. કચ્છમિત્ર દૈનિકમાં તેમણે લખેલી ભૂકંપ સંબંધી કોલમ પરથી NSD ( New Delhi ) એ ૨૦૦૨માં ‘તિનકા તિનકા’ નામનું નાટક બનાવેલ હતું; જેના મુંબઈ દિલ્હી વગેરે જગ્યાએ શૉ યોજાયા છે. રીડગુજરાતી પર આપણે એમની કેટલીક વાર્તાઓ અને નિબંધો માણ્યા છે.

No comments:

Post a Comment